હાલમાં જ સમાચાર સામે આવ્યા કે અંબાજી મંદિરમાં હવે ચિક્કી અને મોહનથાળ બન્ને પ્રસાદ શરૂ રહેશે અને જો જરૂર પડશે તો ક્વોલિટી પણ સુધારવામાં આવશે. માંડ માંડ આ વિવાદે શાંતિ લીધી ત્યારે હવે નવો વિવાદ શરૂ થયોછે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી તારીખ 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં એવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોમાં રોષ ભરાયો છે અને ફરીવાર આ મંદિરે પણ આંદોલન થાય એવી શક્યતા જોવા મળી રહી છે.
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા જ્યારથી આ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે ત્યારથી જ ચારેકોર ચર્ચા થવા લાગી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે જે જાહેરાત કરી એ કંઈક આ રીતે છે.
આજ તારીખ 14/3/23ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે (1) તારીખ 20/3/23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં.
(2) મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે.
(3) ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો.
(4) જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
(5) મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી.
(6)સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
રતન ટાટા માટે ખૂબ જ ખાસ છે આ વ્યક્તિ, રોજ કમાય છે 30 લાખ રૂપિયા, જાણો સંપત્તિ અને કુલ આવક વિશે
ઉલ્લેખનીય છે કે શક્તિપીઠ અંબાજીમાં ચાર માર્ચથી મોહનથાળ બંધ કરી ચીકી આપવાની શરૂઆત થતા જ વિવાદે જન્મ લીધો હતો. ત્યારે હવે અંબાજી પ્રસાદ વિવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ સરકારે ચીકીને પ્રસાદમાં ઘૂસાડી દીધી છે. ભક્તોને પ્રસાદમાં પ્રિય મોહનથાળ છે. છતાં સરકારે બંનેને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.