રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે, ઠેર ઠેર કમોસમી કરા સાથેની મેઘસવારી જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાી માહોલ જામ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિતા વધી છે. સુરતમાં 19 માર્ચ સુધી માવઠાની આગાહી છે ત્યારે માવઠાને લઇ ખેડૂતોની ચિંતાના વાદળો ઘેરાયા છે.
બનાસકાંઠાના અંબાજીમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. અંબાજીના દાંતા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતા વધી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઘઉં, જીરુ, અને ધાણાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. અમદાવાદ સહિત રાજયમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘાગંઘ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે. કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતીત બન્યો છે.
વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું છે. કપરડાના સુથારપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આગાહી બાદ વરસાદ પડતા ખેડૂતોની મુસીબતમાં વધારો થયો છે. કેરી અને કઠોળના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ થતા શાકભાજીની જીવાત અને ફૂગમાં વધારો થયો છે.કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ શરૂ થયો છે. પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાન થયું છે. ભુજના થરાવડા,અબડાસાના ઉસ્તીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાગોદર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.
ભરૂચના જંબુસરમાં વાતાવરણમાં એકાએર પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ટુંડજ સહિતના ગામોમાં કમોસમી વરસાદપડ્યો છે. માવઠાને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતના માંગરોળ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોસંબા વિસ્તારમાં પડ્યો છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.જામનગરના લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હરીપર ગામના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખંભાળિયાના ભટ્ટમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરના ગઢકા અને પટેલકા ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા તેમજ કલ્યાણપુર તાલુકાના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરમાં પવન સાથે ધુળની ડમરીઓ પણ ઉડી છે. બોડકદેવ,માનસી ચાર રસ્તા,યુનિવર્સિટી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આશ્રમરોડ અને સરખેજ તેમજ નારોલ, નિકોલમાં વરસાદી માહોલ છવાયો છે.
અમદાવાદમાં સાંજ પડતાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચાંદખેડા, નિકોલ, એસ.પી. રિંગ રોડ પર ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે, ભરઉનાળે વરસાદી માહોલ છવાતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. તો અનેક જગ્યાએ વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે બરવાળા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન વિભાગે 23 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ઠેર-ઠેર અનેક જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ છવાઈ ગયો છે.મહત્ત્વનું છે કે, કમોસમી વરસાદને કારણે ખેત ઉત્પાદનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને રડવાનો વારો પણ આવ્યો છે.