અમદાવાદ શહેરમાં ફરીથી ઇન્કમટેક્સના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ અને સુરતમાં ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર મંગળવારની રાતથી દરોડા પાડવામાં આવ્યા છે. હાલ અમદાવાદની આંબલી અને શિવરંજની સહિતની ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડીને તપાસ ચાલી રહી છે. આ સાથે અમદાવાદની વિવિધ ઓફીસો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ કંપની ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ ક્ષેત્ર સાથે જાેડાયેલી છે. મળતી માહિતી પ્રમાણે, હાલ કુલ ૨૦૦ જેટલા અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં સામેલ છે.
શહેરના બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં કુલ ૩૫ થી ૪૦ જગ્યા પર આ દરોડા પાડીને ઇન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે. આ દરોડામાં કુલ ૨૦૦ જેટલા અધિકારીઓ સામેલ થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ પહેલા પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે.
થોડા મહિના પહેલા જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગોડાઉન માલિક સહિત બે શખસની ધરપકડ કરી હતી. આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા. દાણીલીમડા પોલીસે બેની ધરપકડ કરી હતી.