થોડા દિવસો પહેલાની જ વાત છે કે ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે તેવો દાવો કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયપ્રધાન જયરામ રમેશ દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીજીના ભારત છોડો નારાના 80 વર્ષ બાદ, કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈ નીકળી છે. આર્થિક વિસંગતતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે ભારત જોડો યાત્રા કોંગ્રેસે કરી હોવાનું જયરામ રમેશે જણાવ્યું હતું. ત્યારે ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાપી પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં નેતાએ બફાટ કર્યો છે અને જે હાલમાં ચારેકોર ચર્ચામાં છે.
વાત કંઈક એવી છે કે યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ બોલવામાં બફાટ માર્યો છે. વાપી ખાતે કાર પર ચઢીને ભાષણ કરતા કોંગ્રેસના નેતાની જીભ લપસતા પાર્ટીને શરમ આવે એવી ઘટના બની હતી. યુથ કોંગ્રેસના પ્રમુખ એ ભાષણ માં બાફ્યુ હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ બોલતા જ લોકોએ તાળી વગાડી હતી.
જો કે ઘટના અહીં પુરી નથી થતી. દેવા માફીની વાત કરીને તરત જ નેતાજીએ બફાટ કર્યો હતો. નેતાજીએ કહ્યું કોંગ્રેસની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ અને કોંગ્રેસ સાફ. પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના નેતાઓના બફાટથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા 15 દિવસથી સતત ચર્ચામાં છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. આ સાથે ગુજરાત યુથ કોંગ્રેસે પણ યાત્રાનો પ્રારંભ કર્યો છે.