ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને મહેસાણા જિલ્લાની વિસનગરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી વિસનગર બેઠક પરથી અર્બુદા સેનાના વિપુલ ચૌધરીને મેદાને ઉતારશે. આ અંગે અર્બુદા સેનાના રાજુભાઇ ચૌધરીએ એલાન કર્યુ છે. હાલ વિપુલ ચૌધરી ચર્ચામા રહ્યા છે કારણ કે થોડા સમય પહેલા જ તેઓ મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છે. આ વચ્ચે આ સમાચાર બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.
આપ દ્વારા આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ આ બેઠક પરથી હવે વિપુલ ચૌધરી મેદાને ઉતરે તેવી પૂરી સંભાવના છે. વિસનગર બેઠકના રાજનીતીક વાતાવરાણ અંગે વિગતે વાત કરીએ તો અહી મોટે ભાગે પાટીદાર ઉમેદવારની જીત થતી આવી છે અને ઠાકોર અને ચૌધરી મતો પણ નિર્ણાયક માનવામાં આવે છે.
આ સાથે આપ માટે પડકાર એ પણ છે કે 1995 થી લઇને 2017 સુધી વિસનગર પર ભાજપની સત્તા છે. 1995માં કીરીટ પટેલ, 1998 અને 2002માં પ્રહલાદ પટેલ, 2007, 2012, 2017માં ઋષિકેશ પટેલ જીર્ત્યા હતા. આ બાદ 2022માં પણ અહીંથી ઋષિકેશ પટેલને ટિકિટ મળી છે જેમને હરાવવા આપ માટે પડકાર છે. આ સિવાય જિલ્લામા પણ 6 બેઠક પર ભગવો લહેરાઈ રહ્યો છે.