વિનાયક દામોદર સાવરકરને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી વધી ગઈ છે. રાજકીય પક્ષોની સાથે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીને સાવરકરના પરિવાર અને તેમના આખા ગામના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે રાહુલના નિવેદનનો વિરોધ કરતા ગાંધી પરિવારને ઘેરી લીધો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પાંડી નેહરુ માત્ર એક મહિલા માટે ભારતના ભાગલા માટે સંમત થયા હતા.
તેમણે કહ્યું કે નેહરુએ 12 વર્ષ સુધી ભારતની ગુપ્ત માહિતી અંગ્રેજોને આપી હતી. અહેવાલ મુજબ રણજીત સાવરકરે અપીલ કરી છે કે પંડિત નેહરુ અને એડવિના વચ્ચેનો પત્રવ્યવહાર અંગ્રેજો પાસેથી માંગવામાં આવે અને તેને સાર્વજનિક કરવામાં આવે જેથી કરીને ખબર પડે કે જેને આખા દેશ ચાચા માને છે તે કઈ રીતે લોકોને છેતરવામાં માહીર છે. તેમનો દાવો છે કે એડવિનાના અભિપ્રાય પછી જ નેહરુ ભારતના ભાગલા માટે સંમત થયા હતા.
સાવરકરના જન્મસ્થળ નાશિકના ભગુરમાં શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હિંદુત્વના વિચારક અને સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર પર કરેલી ટિપ્પણીના વિરોધમાં લોકો દ્વારા બજારો બંધ રાખવામાં આવી હતી. કોંગ્રેસ નેતાની ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોલ પર શુક્રવારે દિવસભર આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ રહી હતી. બાલાસાહેબચી શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ બંધને સમર્થન આપ્યું હતું.
ભાજપના દેવલાલી કેમ્પ-ભગુર એકમના મંડલ પ્રમુખ પ્રસાદ અડકેએ કહ્યું, “રાહુલ ગાંધી સ્વાતંત્ર્યવીર સાવરકરનું અપમાન કરી રહ્યા છે અને તેમણે માફી માંગવી જોઈએ.” જ્યાં સુધી તેઓ (રાહુલ ગાંધી) માફી નહીં માંગે ત્યાં સુધી અમે ગાંધી પરિવારના કોઈપણ સભ્યને ભગુરમાં પ્રવેશવા નહીં દઈએ. ગુરુવારે અકોલા જિલ્લાના વાડેગાંવમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી અને મહાત્મા ગાંધી અને અન્ય સમકાલીન ભારતીય નેતાઓને જેલમાં હતા ત્યારે ડરીને માફીપત્ર પર હસ્તાક્ષર કરીને વિશ્વાસઘાત કર્યો હતો.