Gujarat News: રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જૂનાગઢમાં 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને પછી ઉભો જ ન થયો. હોસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો છે.
કોચિંગ ક્લાસીસના કોચ મહેન્દ્રભાઈ ગોસાઈએ વાત કરી હતી કે ચિરાગ પરમાર એટલે કે જીગાને અમે આઠ-દસ વર્ષથી ઓળખીએ છીએ. ગઇકાલે અચાનક જ એક દુઃખદ ઘટના બની હતી. જીગો અમારા ક્લાસીસમાં દાંડિયાની પ્રેક્ટિસ કરવા માટે આવ્યો હતો. એટલે 8 થી 10 વર્ષના સમયથી ચિરાગ પરમાર દાંડિયામાં એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે. ત્યારે કાલે અચાનક જ દાંડિયા રમતાં રમતાં તે ક્લાસીસમાં ઢળી પડ્યો હતો. ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ ચિરાગ પરમારને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને એટેકના આવવાથી મૃત્યુ થયું.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પછી સૌથી મોટી સમસ્યા યુવાઓ માટે ઉભી થઈ છે. કારણ કે યુવાઓમાં હાર્ટ એટેકના (Heart attack) કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.જેને લઇને મેડિકલ જગત પણ ખુબ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે લોકો ખુબ મહેનત કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાને પગલે રાજકોટમાં (rajkot) વધુ ત્રણ વ્યક્તિના મોત નિપજયા હોવાનું સામે આવતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.બીજી બાજુ ત્રણ પરિવારના કંધોતરના મોતને લઈ પરિવારના લોકોમાં પણ કાળો કલ્પાત ફેલાયો છે, અને પરિજનોના જાણે આંસુ ન સુકાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ સાથે જ સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટમાં છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકને પગલે મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણેય વ્યક્તિઓએ છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેઓને પરિવારના લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા ત્રણેયના યુવાનોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જે પછી ફરજ પરના ડોક્ટરે ત્રણેયના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું.
કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય વ્યક્તિનો કાળમુખા હાર્ટ એટેકે ભોગ લેતા રાજકોટમાં અરેરાટી મચી છે. આ ત્રણેય અલગ અલગ બનાવને લઈને સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે. બીજી બાજુ 3 પરિવારે પોતાના ઘરના આધાર સ્થંભ ગુમાવતા પરિજનો શોકના સાગરમાં ડૂબ્યા હતા.