Inida News: ધાર્મિક ઉપદેશક આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કે જેઓ બાગેશ્વર બાબા તરીકે જાણીતા છે, તેમણે બુધવારે સંત તુકારામ પર તેમની કથિત ટિપ્પણી માટે બિનશરતી માફી માંગી છે. તેમની ટિપ્પણીએ મહારાષ્ટ્રમાં વારકરી સમુદાયના મોટા વર્ગને નારાજ કર્યો હતો.
બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની માફી સંગમવાડી ખાતે ચાલી રહેલા ત્રણ દિવસીય ધાર્મિક ઉપદેશ દરમિયાન તેમના સ્વયંસેવકો અને સંત તુકારામના અનુયાયીઓ વચ્ચેના ઘર્ષણના એક દિવસ પછી આવી છે, જે બુધવારે સમાપ્ત થવાનું હતું. તાજેતરમાં તેમના નિવેદનોનો એક વીડિયો વાયરલ થયા બાદ, બાગેશ્વરે કહ્યું કે મને સંત તુકારામ માટે દિલથી આદર છે. જો મારી અગાઉની ટિપ્પણીઓથી અજાણતાં કોઈને દુઃખ થયું હોય, તો હું માફી માગું છું.
તેમણે કહ્યું કે તેઓ દેહુ રોડ ખાતે સંત તુકારામની ઐતિહાસિક સમાધિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, જેઓ લગભગ 400 વર્ષ પહેલાં ત્યાં રહેતા અને ઉપદેશ આપતા હતા. તેમના ‘દિવ્ય દરબાર’ અને ‘હનુમાન કથા’માં ઉપદેશકની ટિપ્પણીઓને ભીમ સેના અને અન્ય સંગઠનો દ્વારા કાળા ધ્વજ, સૂત્રોચ્ચાર અને વિરોધ સાથે આવકારવામાં આવ્યો હતો, જ્યારે રેશનાલિસ્ટ સંગઠન, મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (MANS) એ તેમના અંધશ્રદ્ધાળુ દાવાઓ સામે વિરોધ કર્યો હતો.
MANS એ પુણે પોલીસ કમિશનરને પણ પત્ર લખીને બાગેશ્વર બાબા સામે પગલાં લેવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે કોઈ વૈજ્ઞાનિક આધાર વિના લોકોને ગેરમાર્ગે દોરતા નિવેદનોનો પ્રચાર કરી રહ્યા છે એટલે એમની પર કાર્યવાહી થવી જોઈએ.