વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળના કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન મમતાની નારાજગી ફરી એકવાર જોવા મળી હતી. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે પીએમ મોદી જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તેના કેમ્પસનું અમે ઉદ્ઘાટન કરી દીધુ છે.
સૌથી પહેલા મમતાએ એન્કર પર પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તમે મારું ટાઈટલ ભૂલી ગયા છો અથવા તમે નર્વસ થઈ ગયા છો. તેમણે કહ્યું, “આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સ્વાસ્થ્ય મંત્રીએ બે વાર ફોન કર્યો હતો. મને લાગ્યું કે આ કોલકાતાનો કાર્યક્રમ છે, પીએમ મોદી તેમાં રસ દાખવી રહ્યા છે. હું સામેલ થઈશ. પરંતુ હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે અમે તેનું ઉદ્ઘાટન કરી ચૂક્યું છે. અમને કોરોનામાં કેન્દ્રોની જરૂર હતી. આ દરમિયાન અમે જોયું કે ચિત્તરંજન હોસ્પિટલ રાજ્ય સાથે જોડાયેલ છે. આવી સ્થિતિમાં અમે તેનું ઉદ્ઘાટન કર્યું અને તેને કોરોના સેન્ટર બનાવવામાં આવ્યું. તે ખૂબ જ મદદરૂપ સાબિત થયું.
મમતાએ કહ્યું, “રાજ્ય સરકાર કેન્સર હોસ્પિટલ માટે બજેટના 25% આપી રહી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ હોસ્પિટલ માટે 11 એકર જમીન આપી છે. તેથી જ્યારે લોકોની વાત આવે છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
મમતાએ કહ્યું કે કેન્દ્રએ મેડિકલમાં ક્વોટા વધારવો જોઈએ. મમતાએ કહ્યું કે, કોરોના સમયગાળા દરમિયાન, જો એક હોસ્પિટલમાં 75-75 ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. તો સારવાર કેવી રીતે થશે? સૌ પ્રથમ તો મેડિકલ સીટો વધારવી જોઈએ.