રાજ્યમાં માવઠાના માર બાદ ગરમીએ પણ જોર પકડ્યુ છે. સોમવારે રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. આ સાથે ત્રણ દિવસ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 12, 13 એપ્રિલ, 18, 19 એપ્રિલ, 23થી 28 એપ્રિલે માવઠું થશે. 12 અને 13 એપ્રિલના રોજ અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે. તો જોવાનું એ રહ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી કે માવઠું પોતાના તેવર બતાવશે.
સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી, અમરેલીમાં 39.4, વડોદરામાં 40, ભાવનગરમાં 38.5, ભુજમાં 39.4, છોટાઉદેપુરમાં 39.3, ડાંગમાં 40.2, ડીસામાં 39.1, દ્વારકામાં 29.2, ગાંધીનગરમાં 38.2, જામનગરમાં 34.4, જૂનાગઢમાં 39.5, નલિયામાં 34.6, પંચમહાલમાં 39.8, પાટણમાં 41, રાજકોટમાં 38.6, સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં ત્રણ દિવસ યલો એલર્ટને પગલે શહેરીજનોને સાવચેત રહેવાની જરૂર છે. બીજી બાજુ, આજે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી 5 દિવસ માવઠાનું અનુમાન કરવામાં આવ્યુ છે. આજે અને કાલે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂંકુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 12, 13, 18, 19, 23થી 28 એપ્રિલના રોજ માવઠું થશે. 12 અને 13 એપ્રિલે અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે. 18 અને 19 એપ્રિલે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ ઉપરાંત 23થી 28 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. જ્યારે કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદ થઈ શકે છે.
સ્કાયમેટ સંસ્થાની આગાહી મુજબ સમગ્ર દેશમાં 94 ટકાથી ઓછું ચોમાસુ રહેશે. આગામી ચોમાસું જુનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. આ પહેલા પણ સ્કાયમેટે આગાહી કરી હતી કે 2023નુ ચોમાસુ નોર્મલ કરતા ઓછું રહેશે. એટલે કે પ્રમાણમાં નબળું રહેશે અને વરસાદ પણ ઓછો પડશે. સ્કાયમેટની આગાહી પ્રમાણે મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે. જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જુલાઇ અને ઓગષ્ટ મહિનામાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.