મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સતેન્દ્ર જૈન માટે મોટી મુસશ્કેલી બનતો જઈ રહ્યો છે. તેણે હવે પોતાનો પાંચમો પત્ર જારી કરીને બંને પર ગંભીર આરોપો લગાવ્યા છે. સુકેશે પોતાના પત્રમાં લખ્યું- કેજરીવાલજી, જો હું મહાઠગ છું તો તમે મને દિલ્હીની સરકારી શાળાઓના પ્રમોશન માટે આંતરરાષ્ટ્રીય પીઆરની વ્યવસ્થા કરવાનું કેમ કહ્યું? તેમણે દાવો કર્યો કે ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારોમાં પેઈડ ન્યૂઝ માટે 8 લાખ 50 હજાર ડોલર અને 15 ટકા વધારાનું કમિશન આપવામાં આવ્યું હતું.
મને કહેવામાં આવ્યું કે એવું પ્રમોશન હોવું જોઈએ જે આજ સુધી કોઈએ કર્યું નથી. આ અગાઉ આ તમામ નાણાં અમેરિકન ખાતામાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સતેન્દ્ર જૈને પાછળથી આખી રકમ રોકડમાં આપવાનું કેમ કહ્યું? તમે મારા મારફત તમારી પેમેન્ટ વ્હાઇટમાં કેમ કરી? સુકેશે પત્રમાં કહ્યું- હું મારા પોલીગ્રાફ ટેસ્ટ માટે તૈયાર છું. મેં લગાવેલા તમામ આરોપો એકદમ સાચા છે. જો તમે સાચા હો તો તમને (કેજરીવાલ) અને સતેન્દ્ર જૈનને તમારો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
તેમણે પત્રમાં લખ્યું છે કે તેઓ તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોના પુરાવા પણ આપવા તૈયાર છે. સુકેશે કહ્યું કે આપણે ત્રણેયનો એકસાથે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવો જોઈએ અને આ ટેસ્ટનું લાઈવ પ્રસારણ કરવું જોઈએ જેથી કરીને અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈનનું સત્ય દેશની સામે ઉજાગર થઈ શકે. સુકેશે પત્રમાં લખ્યું- કેરજીવાલજી, મને યાદ છે કે મેં તમને ઘડિયાળ ભેટમાં આપી હતી. તમે મને તેનો પટ્ટો કાળાથી વાદળી રંગમાં બદલવા કહ્યું હતું.
તેણે આગળ લખ્યું- સતેન્દ્ર જૈનજી, તમને યાદ હશે કે મેં દુબઈ ચાર્ટર્ડ પ્લેનમાંથી કોઈને કેજરીવાલજી માટે ઘડિયાળનો પટ્ટો બદલવા મોકલ્યો હતો. તમે મને WhatsApp પર પટેક ફ્લિપ અને કાર્ટિયર પેન્થર વિમેન્સ એડિશન ઘડિયાળો લાવવા માટે કહ્યું હતું જે મેં તમારા માટે ખરીદ્યું હતું. સુકેશે એલજીને અત્યાર સુધીમાં ત્રણ પત્ર લખ્યા છે. તે પત્રોમાં તેણે દિલ્હીના સીએમ કેજરીવાલને સવાલ પૂછ્યો છે કે જો હું દેશનો સૌથી મોટો ઠગ છું તો મારા જેવા ગુંડાને રાજ્યસભાની સીટ આપીને 50 કરોડ રૂપિયા કેમ લીધા?
એમ પણ કહ્યું કે તમે મને અને અન્ય ઉદ્યોગપતિઓને પાર્ટીમાં જોડાઈને 500 કરોડ રૂપિયા એકત્ર કરવા કહ્યું હતું. બદલામાં મને કર્ણાટકમાં પાર્ટીમાં મોટા પદની ઓફર પણ કરવામાં આવી રહી હતી. તેના પહેલા પત્રમાં સુકેશે દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈને મને સતત પૈસા ચૂકવવા દબાણ કર્યું હતું. દબાણના કારણે મારી પાસેથી 2-3 મહિનાના ગાળામાં 10 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી. બીજા પત્રમાં સુકેશે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બોલવા બદલ તેને જેલમાં ધમકીઓ મળી હતી. તેણે અપીલ કરી હતી કે તેને તિહાર જેલમાંથી બહાર લઈ જવામાં આવે.