અંબાજીમાં પ્રસાદ વિવાદ યથાવત જોવા મળ્યો છે. દાતાઓ મોહનથાળના પ્રસાદનું નિ:શુલ્ક વિતરણ કરતાં જોવા મળ્યા છે. શ્રદ્ધાળુઓની એક જ માગ છે કે મોહનથાળ પ્રસાદ ફરી શરૂ કરવામાં આવે. આ સાથે જ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હવે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચી શકે છે. હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થાય એવી શક્યતા બતાવવામાં આવી રહી છેછે. તો અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ પણ શરૂ કરવામાં આવ્યો છે.
અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાને લઈને ભક્તોમાં અનેરો રોષ ભભૂક્યો છે. અંબાજી દર્શન માટે આવતા ભક્તો હાલ મોહનથાળનાં મળતા ચિક્કીનો પ્રસાદ લેવા મજબૂર બન્યા છે. ભક્તો મોહનથાળ ચાલુ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. મોહનથાળ પ્રસાદના મામલાને 7 દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે વિવિધ સંસ્થાનો, આગેવાનો અને પાર્ટીઓ દ્વારા અંબાજી મંદિર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે.
તો આ તરફ ગુજરાત અને દેશભરના ભક્તોની પણ પ્રબળ માંગ છે કે અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો મહાપ્રસાદ ચાલું થાય. પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો અંબાજી મંદિરની ઓળખ અને રાજભોગ એવો મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદનું વેચાણ કરાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.
ત્યારે હવે એવું કહેવાઈ રહ્યું છે કે, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હાઈકોર્ટમાં પહોંચી શકે છે.