આજથી સુરતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરત શહેરમાં આજથી એક પણ ખાનગી બસ પ્રવેશ નહીં કરે. એસોસિએશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો પડઘો હવે અમદાવાદમાં પણ પડ્યો છે. અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશને પણ પોતાની માંગ ઉઠાવી અને મુદ્દાને વધારે વેગ આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા રાત્રે 9.30થી સવારના 8 વાગ્યા સુધી અને બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બસ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ કરી. આ મામલે આજે એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવેદન પત્ર પણ આપવામાં આવશે અને પોતાની માંગ રજુ કરવામાં આવશે.
વિગતે વાત કરીએ તો એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં બસ રિંગ રોડ પર જ ઉભી રાખવામા આવશે.
આ સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો તેમની માંગ નહીં સંતોષાય તો 28 તારીખે અમદાવાદ શહેરમાં ટ્રાવેલ્સ બસ શહેરની અંદર એક પણ બસ લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે. જો હાલની વાત કરીએ તો અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે, ત્યારે આગળ શું થાય એ જોવાનું રહ્યું.