Union Budget 2024: મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં રેલવેને શાનદાર ભેટ મળી છે. ગુરુવારે લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી વર્ષોમાં 3 નવા રેલવે આર્થિક કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર એનર્જી, મિનરલ્સ અને સિમેન્ટ માટે હશે.
આ પ્રોજેક્ટની ઓળખ પીએમ ગતિશક્તિ યોજના હેઠળ કરવામાં આવી છે. તેનાથી પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે અને ટ્રેનોમાં મુસાફરી સુરક્ષિત રહેશે. 40 હજાર સામાન્ય રેલવે બોગીઓને વંદે ભારત ધોરણમાં ફેરવવામાં આવશે.
ગયા વર્ષે રેલવેને આટલો હિસ્સો મળ્યો
ગયા વર્ષના બજેટમાં મોદી સરકારે રેલવે પર સૌથી વધુ ફોકસ કર્યું હતું. વર્ષ 2023ના કુલ રૂ. 45 લાખ કરોડના બજેટમાં રેલવેનો હિસ્સો રૂ. 2.4 લાખ કરોડ હતો. મોદી સરકારના કાર્યકાળમાં રેલવેને બજેટમાં ફાળવણીમાં સતત વધારો થયો છે.
આ રીતે રેલવે બજેટમાં વધારો થયો
5 વર્ષ પહેલા એટલે કે 2019ના બજેટમાં રેલવેને 69,967 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2020માં રેલવેને 70,250 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એક વર્ષ બાદ એટલે કે 2021માં પહેલીવાર રેલવે બજેટ રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું હતું. જ્યારે 2023માં એટલે કે ગયા વર્ષે, રેલવેનું બજેટ ફાળવણી પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું હતું.
2017 થી સામાન્ય બજેટનો ભાગ
મોદી સરકાર પહેલા રેલવે માટે અલગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ પરંપરા વર્ષ 2017થી બદલાઈ ગઈ. રેલવે બજેટ તે વર્ષે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટનો એક ભાગ હતો. તે પહેલા રેલવે મંત્રી દ્વારા અલગથી રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે છેલ્લા 7 વર્ષથી રેલવે બજેટ સામાન્ય બજેટના ભાગરૂપે આવી રહ્યું છે.