અંગદાન એ મહાદાન ગણવામાં આવે છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૮૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૫૨ કિડની, ૧૯૩ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૪ હૃદય, ૨૮ ફેફસાં, ૪ હાથ અને ૩૫૨ ચક્ષુઓના દાનથી કુલ ૯૯૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. ત્યારે હવે સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિનોદભાઈએ માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ૯ માર્ચના રોજ સવારે ૫:૩૦ કલાકે તેઓ બેભાન થઇ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાની સારવાર હેઠળ દાખલ કર્યા.
જ્યારે દવાખાનામાં નિદાન માટે CT સ્કેન કરાવ્યું તો બ્રેઈન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું .જ્યાં ડોકટરે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમને બચવાની કોઈ શક્યતા નથી ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વિગતો મળી રહી છે કે ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલ અને ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો અને વિનોદભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી અને ત્યારબાદ પરિવાર પણ અંગદાન કરવા રાજી થયો હતો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પીટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRCને ફાળવવામાં આવી. આ દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. તેથી લોકો પોલીસનો પણ ખુભ આભાર માને છે.