પતિ પછી પત્નીનું મોત અને દીકરા પછી માતાનું મોતના કિસ્સા આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ, ત્યારે હવે જે કિસ્સો સામે આવ્યો એમાં ભાઈના મોતના 30 મિનિટ બાદ જ બીજા ભાઈનું મોત થતાં પરિવાર તેમજ ગામમાં અરેરાટી છૂટી ગઈ છે. પાટણમાંથી આ કાળજુ કંપાવી નાખતી એક ઘટના બની છે. પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓનાં મોતના સમાચાર મળી રહ્યા છે.
બંનેની એક સાથે અર્થી ઉઠી છે. લોટેશ્વરમાં રહેતા અરવિંદ પટેલ બેંકમાં ચેક ભરવા ગયા હતા અને બહાર આવીને ખુરશી પર બેઠા હતા. બાદમાં ઉભા થઈ ચાલતા-ચાલતા રોડ પર જ ઢળી પડ્યા હતા. મોટાભાઈનું હૃદયરોગના હુમલાથી મોત થયું અને મોતના સમાચાર સાંભળતા 30 મિનિટમાં જ નાના ભાઈએ પણ પ્રાણ છોડી દીધા.
મૃતક અરવિંદભાઇની ઉમર 49 વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે 25 વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક 21 વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉંમર 45 વર્ષની હતી. જેને એક 19 વર્ષનો દીકરો છે. માહિતી મળી રહી છે કે આ સમગ્ર ઘટનાના CCTV પણ પણ કેદ થઈ હતી.
નાનો ભાઈ મોટાભાઈની જુદાઈ ન જીરવી શક્યો. અરવિંદ પટેલને હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોટાભાઈ અરવિંદના મોતના સમચારા સાંભળી નાના ભાઈ દિનેશ પટેલ દુકાનથી ઘરે આવ્યા હતા અને પરિવારને આશ્વાસન આપી રહ્યા હતા કે કોઈ હિંમત ન હારતા બધુ સારું થઈ જશે, પણ તેવામાં દિનેશભાઈને પણ ગભરામણ થતા તેઓનું પણ મોત થયું છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. પટેલ પરિવારમાં મોટભાઈના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લવાયો હતો. તો બીજી તરફ નાના ભાઈ દિનેશને હોસ્પિટલ ખસેડાયા હતા. અરવિંદભાઈની અંતિમવિધિની તૈયારી ચાલતી હતી તે સમયે નાના ભાઈ દિનેશભાઈએ પણ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.