ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરીઝની છેલ્લી મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 9 ઓવરમાં 4 વિકેટે 75 રન બનાવ્યા હતા ત્યારે મેચ રોકવી પડી હતી. આ પછી વરસાદના કારણે મેચ આગળ વધી શકી ન હતી. ડકવર્થ-લુઈસ નિયમના આધારે મેચ ટાઈ જાહેર કરવામાં આવી હતી. ભારતે શ્રેણી 1-0થી પોતાના નામે કરી હતી.
મેચ બાદ મીડિયાના સવાલોના જવાબ આપતી વખતે કેપ્ટન હાર્દિક પંડ્યા ગુસ્સામાં આવી ગયો હતો. T20 સિરીઝ દરમિયાન સંજુ સેમસન અને ઉમરાન મલિકને તક ન આપવાના સવાલ પર હાર્દિક પંડ્યા ગુસ્સે થઈ ગયો હતો. તેણે જવાબમાં કહ્યું, “સૌથી પહેલા તો બહારથી કોણ શું કહે છે, આ લેવલ પર આવ્યા પછી કોઈ ફરક પડતો નથી. મારી પાસે એક ટીમ છે, કોચ અને જે પણ સાઈડ મને યોગ્ય લાગે છે, અમે તેમને પ્લેઈંગ ઈલેવનમાં રાખશુ.
તેણે બચાવમાં આગળ કહ્યું, “જુઓ, હજી ઘણો સમય છે, દરેકને તક મળશે અને જ્યારે પણ તક મળશે તેમને લાંબા સમય સુધી તક આપવામાં આવશે. એક વાત સમજવી પડશે કે જો મોટી શ્રેણી હોય તો વધુ મેચો હોય છે અને તેમાં કોઈ શંકા નથી કે વધુ તકો છે. તે એક ટૂંકી શ્રેણી હતી, હું વધુ ખેલાડીઓને બહાર કરીને કોઈપણ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં માનતો નથી અને ભવિષ્યમાં ક્યારેય તેમાં વિશ્વાસ કરીશ નહીં.
આગળ વાત કરતા તેણે કહ્યુ કે મને પ્લેઈંગ ઈલેવનમાં બોલિંગના 6 વિકલ્પો જોઈતા હતા અને તે વાત પણ આ પ્રવાસમાં આવી ગઈ છે, જેમ કે તમે જોયું હશે કે દીપક (હુડ્ડા)એ પણ બોલિંગ કરી છે. ધીરે ધીરે જો તમારા બેટ્સમેન પણ બોલિંગ કરવાનું શરૂ કરે તો તમારી પાસે નવા બોલરોને ઓવર કરીને વિરોધી ટીમને આશ્ચર્યચકિત કરવાની ઘણી તકો મળશે.