ભારતના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંતની મર્સિડીઝ કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી. પંત કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો. આ અકસ્માતમાં ઋષભ પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ હતી અને હાલમાં તે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. હવે પંત વિશે એક મોટું અપડેટ આવ્યું છે.
પંતનો એમઆરઆઈ રિપોર્ટ નોર્મલ આવ્યો
અપડેટ અનુસાર 25 વર્ષીય ઋષભ પંત ICUમાં છે પરંતુ તે બિલકુલ સ્વસ્થ છે અને તેની હાલત સ્થિર છે. મેક્સ હોસ્પિટલના ડોકટરો ઋષભના સ્વાસ્થ્યને લઈને કોઈ જોખમ લેવા માંગતા નથી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર ઋષભની સારવાર સારી ચાલી રહી છે અને હાલ તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઋષભની માતા પણ અહીં છે અને તે સારવારથી સંતુષ્ટ છે. દિલ્હીમાં મેક્સ હેડ ઓફિસ પંતની માતા, ડોક્ટરો અને BCCIના સંપર્કમાં છે. પંતનો એમઆરઆઈ રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે.
PM મોદીએ ઋષભ પંતના પરિવારને ફોન કરી પૂછ્યા હાલ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાર અકસ્માત બાદ ઋષભ પંતના પરિવારને ફોન કરીને આ સ્ટાર ક્રિકેટરની તબિયત વિશે પૂછપરછ કરી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, ‘ઋષભ પંતની હાલત સ્થિર છે અને અમે તેના બીસીસીઆઈએ કહ્યુ સ્વાસ્થ્યની પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે ડોક્ટરોની ટીમ સાથે સતત સંપર્કમાં છીએ. આ ક્ષણે અમને નથી લાગતું કે તેણે બીજે ક્યાંક શિફ્ટ થવાની જરૂર છે. તેની પ્રગતિ જોશે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા ડૉક્ટર સલાહ આપશે.
ડૉ. સુશીલ નાગરે કહ્યું ‘જ્યારે તેને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે વાત પણ કરી. તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેના માથામાં ઈજા છે પરંતુ મેં ટાંકા નથી લગાવ્યા. મેં તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું જ્યાં પ્લાસ્ટિક સર્જન તેને જોઈ શકે. એક્સ-રેમાં જાણવા મળ્યું છે કે કોઈ હાડકું તૂટ્યું નથી.
પંતને પીઠ પર મોટો ઘા છે
ડૉ. નાગરે કહ્યું કે પંતને પીઠ પર મોટો ઘા છે અને સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઈ છે તે આગને કારણે થયેલી ઈજા નથી. ‘ઈજા એટલા માટે થઈ કારણ કે કારમાં આગ લાગતાં જ તે બારીનો સહારો લઈને બહાર આવ્યો હતો. તેની પીઠ પર પડવાથી તેની ચામડી ઉતરી ગઈ હતી પરંતુ તે આગમાં બળવાની ઈજા નથી અને તે ગંભીર પણ નથી. દેહરાદૂનના મેક્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આશિષ યાજ્ઞિકે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક નિષ્ણાતો અને પ્લાસ્ટિક સર્જનોની એક ટીમ પંતની સારવાર કરી રહી છે.
ઋષભ પંતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર રહ્યો છે
ઋષભ પંતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર રહ્યો છે. તે જ સમયે, તે T20 અને ODI ઇન્ટરનેશનલમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. પન્નેએ અત્યાર સુધી 66 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 22.43ની એવરેજથી 987 રન બનાવ્યા છે. આ દરમિયાન પંતે T20 ઈન્ટરનેશનલમાં 3 અડધી સદી ફટકારી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 65 રન હતો. વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો પંતે 30 મેચમાં 34.60ની એવરેજથી 865 રન બનાવ્યા છે. પંતે 33 ટેસ્ટમાં 43.67ની એવરેજથી 2271 રન બનાવ્યા છે જેમાં 5 સદી અને 11 અર્ધસદી સામેલ છે.