અષાઢી બીજ એટલે સગર સમાજ માટે ખુબ જ ખાસ અને ઉત્સાહનો દિવસ, કારણ કે આ દિવસે અઢારે વરણમાં પૂજનીય સંત શ્રી દાસારામ બાપાની પૂણ્યતિથીનો દિવસ.
ત્યારે આ વર્ષે 274મી પૂણ્યતિથી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સગર સમાજમાં અનોખી જ હર્ષની લાગણી જોવા મળી હતી. એ જ અરસામાં અમદાવાદ ખાતે પણ અષાઢી બીજનું ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વહેલી સવારથી જ શોભાયાત્રાનો કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં બાળકે દાસારામ બાપાની વેશભુજા ધારણ કરી હતી અને સગર સમાજના યુવાનો પણ પરંપરાગત આંગળી-ચોયણામાં જોવા મળ્યા હતા. જ્યારે અમદાવાદના રસ્તા પરથી સગર સમાજના યુવાનો અને લોકોની આ રીતે પરંપરાગત કપડાંમાં રેલી નીકળી ત્યારે આખું અમદાવાદ જોતું રહી ગયું હતું.
આ શોભાયાત્રા બાદ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. સગર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ જાણીતા કવિ અને સ્પીકર દ્વારા માતા પિતા તેમજ સમાજ વિશે સ્પીચ આપવામાં આવી હતી અને સાંજે પ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું હતું.