BIPARJOY CYCLONE GUJARAT: અરબી સમુદ્રમાં સર્જાયેલુ શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય કચ્છના દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતુ. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તે પહેલા જ રાજ્ય સરકારના આગળના આયોજનને લીધે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 9 તાલુકાના 442 ગામો અસરગ્રસ્ત જરૂર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે, હવે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન આપી રહી છે. એવામાં સરકાર દ્વારા કેશડોલ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
હકીકતમાં વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાત તે પૂર્વે જ તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 1 લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતુ, આ સ્થળાંતર કરવામાં આવેલા 1.8 લાખ લોકોને 5 દિવસ માટે રાજ્ય સરકાર કેશડોલ ચૂકવશે. જેમાં પુખ્ત વયના લોકોને 500, જ્યારે બાળકોને 300 રૂપિયાની રોકડ સહાય ચૂકવવામાં આવશે.
રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ કરીને બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયના ધોરણ જાહેર કર્યાં છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસ લેખે સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના વ્યક્તિને દૈનિક 100 રૂપિયા અને બાળકોને દૈનિક 60 રૂપિયા ચૂકવવામાં આવશે.
વાવાઝોડા અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, બિપોરજોયના કારણે કચ્છ જિલ્લામાં કોઈનો જીવ નથી ગયો. આ સાથે બંદરો અને બ્રિજને પણ નુક્સાન નથી પહોંચ્યું, જો કે 8 જણાં ઈજાગ્રસ્ત થયાના તેમજ 80 હજાર જેટલા વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડાની સંભાવિત અસરને જોતા જે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તે તમામ લોકોને જે-તે જિલ્લાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના મૂળ સ્થાને પરત મોકલવામાં આવશે.
આ પણ વાંચો
ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો, આજે મુશળધાર વરસાદ પડશે, બિપરજોયની નવીનતમ સ્થિતિ જાણી લોકો ફફડ્યાં