દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થતા પુન: ગુજરાતના પશુપાલકોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં સુરતના નિલેશભાઈ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના બ્રિન્દા શાહને તૃતીય ક્રમે ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે. એટલુ જ નહિં, પશુધન ક્ષેત્રનું આજે ભારતીય અર્થતંત્રમાં ખુબ મોટું યોગદાન છે. આ ક્ષેત્રમાં કાર્યરત એઆઈ ટેકનિશિયન અને ડેરી સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક કંપની, ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને આ એવોર્ડ મળે છે.
જેમાં ત્રણ કેટેગરી છે:
૧. દેશી ગાય/ભેંસની જાતિઓ ઉછેરના શ્રેષ્ઠ ડેરી ખેડૂત
૨. શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી, દૂધ ઉત્પાદક કંપની, ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા
૩. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT)
આજે એક સાથે 5 કિક્રેટરોનો જન્મદિવસ, જેમાંથી માત્ર 3 જ વર્લ્ડ કપ 2023માં રમ્યા, જાણો કેમ?
આ માટે ઓનલાઈન પોર્ટલ પર દેશભરમાંથી પશુપાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ 1,770 અરજીઓ પૈકી અલગ-અલગ ત્રણ કેટેગરી માટે પસંદગી પામેલા 10 પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલકોનો સમાવેશ થયો છે.