રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે જે લોકો સમાજના હિતમાં વિચારે છે તેમને કહેવું જોઈએ કે ‘વર્ણ’ અને ‘જાતિ’ વ્યવસ્થા ભૂતકાળની વાત છે. શુક્રવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન સમારોહને સંબોધતા મોહન ભાગવતે કહ્યું, “આપણે હવે વર્ણ અને જાતિના ખ્યાલોને ભૂલી જવું જોઈએ…. આજે જો કોઈ તેના વિશે પૂછે તો સમાજના હિતમાં વિચારનારા દરેકને કહેવું જોઈએ કે આ વર્ણ, જાતિ વ્યવસ્થા ભૂતકાળની વાત છે અને આવા ભૂતકાળને ભૂલી જવું જોઈએ.
આ પહેલા મોહન ભાગવતે કહ્યું હતું કે લઘુમતીઓને જોખમમાં મૂકવું એ ન તો સંઘ કે હિંદુઓનો સ્વભાવ છે. મોહન ભાગવતનો આ જવાબ કોંગ્રેસ અને વિરોધ પક્ષો માટે હતો. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીએ આરએસએસ પર સમાજમાં વિભાજન કરવાનો અને લોકોને એકબીજા વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. વિજયાદશમીના તહેવારના અવસર પર ભાગવતે કહ્યું હતું કે, “લઘુમતીઓમાં એવો ડર પેદા થાય છે કે તેમને અમારા (સંઘ) અથવા હિંદુઓ તરફથી ખતરો છે, આવું પહેલા ક્યારેય બન્યું નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. લઘુમતીઓને જોખમમાં મૂકવાનો ન તો સંઘનો સ્વભાવ છે કે ન હિંદુઓનો.
ભાગવતે કહ્યું હતું કે, “સમાજ વિરુદ્ધ નફરત, અન્યાય અને અત્યાચાર ફેલાવનારા અને અપરાધના કૃત્યોમાં સંડોવાયેલા લોકો સામે સ્વ-બચાવ અને આપણું પોતાનું રક્ષણ એ દરેક વ્યક્તિની ફરજ બની જાય છે. પરંતુ અમારા પક્ષે, ક્યારેય કોઈના તરફથી કોઈ ખતરો નથી. હિંદુ સમાજ કોઈની વિરુદ્ધ નથી. સંઘ ભાઈચારો, સૌહાર્દ અને શાંતિ માટે ઊભા રહેવાની પ્રતિજ્ઞા લે છે.