હવામાન વિભાગ દ્વારા તો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી જ છે અને જેને લઈને રાજ્યનાં વિવિધ માર્કેટયાર્ડમાં હરાજી પણ બંધ રાખવામાં આવી છે. જેમ કે રાજકોટના ઉપલેટા યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. તેમજ આગામી બે દિવસ ખેડૂતો જણસ લઈને ન આવે તેવી પણ જાહેરાત કરી દીધી છે. તો હવે અંબાલાલ પટેલે પણ હવામાનની આજથી 5 દિવસ માટે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામા આવી છે. 1 માર્ચથી રાજ્યમા વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યા હોવાનું કહ્યું છે. તેમજ 14 થી 18 દરમ્યાન વરસાદ થવાની પણ આગાહી કરી છે. જો કે આજથી જ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ ખાબકવાની શરૂઆત પણ થઈ ગઈ છે. 16 માર્ચ અને 17 માર્ચનાં રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
આ આગાહીમાં વિગતે વાત કરીએ તો આણંદ, વડોદરા, ખેડા અને અમદાવાદ તેમજ લુણાવાડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ ખાબકશે. તો વળી દરિયાઈ પટ્ટી વિસ્તાર એવા ભાવનગર અને જૂનાગઢમાં પણ ગરમી સાથે સાથે વરસાદ પડી શખે છે. હાલમાં રાજ્યમાં ભર ઉનાળાની સીઝનમાં ઠેર ઠેર કમોસમી વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
વરસાદના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ પાકને નુકશાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ ઘઉ. જીરૂ, રાઈ, તમાકુ સહિતના પાકોને નુકશાન પહોંચવા પામ્યું છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે લાખો રૂપિયાનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે.