વહેલી સવારે જ જાહેરાત કરવામાં આવી હતી કે આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે કારણ કે પેપર ફૂટી ગયું હતું. ભલે હાલમાં સરકારે પરીક્ષા રદ કરી નાખી છે પરંતુ સરકારની વાતોથી વિદ્યાર્થીઓ હાલ સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું નથી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે હવે એક વાત બહાર આવી છે કે વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા યુવરાજ સિંહને પહેલાથી જ ખબર હતી કે પેપર ફૂટી જશે.
યુવરાજે સિંહે કહ્યું હતું કે જે જે લોકો આ પહેલા ભરતી કૌભાંડમાં અને પેપર ફોડવામાં હતા એ જ તત્વો હવે ફરીથી એક્ટિવ થયા છે અને એ જ લોકો આ વખતે ચૂંટાયને આવ્યા છે અને જેના કારણે પેપર ફૂટી જશે. યુવરાજ સિંહે આવેદન પણ આપી દીધું હતું. જો કે સરકારે કોઈ પ્રકારે એક્શન લીધા નહીં અને આજે પરિણામ તમારી સામે છે. ત્યારે અહીં જુઓ આખો વીડિયો..
પરીક્ષા રદ થતાં જ વિદ્યાર્થીઓના આક્રોશનો કોઈ પાર રહ્યો ન હતો અને જેને લઈને ગુજરાતભરમાં તમામ ST બસમાં ઉમેદવારોને મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. જોકે પેપર રદ્દ થાય તે પછી જ કેમ આવી જાહેરાત કરવામાં આવે છે તે પણ એક સવાલ છે.
ઉમેદવારો ભાવુક થઈ ગયા. ઉમેદવારોએ આજની આ ઘટના અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી કે ‘અમે પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે છેક પાલીતાણા અને ભાવનગરના ગામડામાંથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ…