સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ
સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું અને સુરક્ષિત ઘર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટી સંખ્યામાં આવાસો ફાળવવામાં આવ્યા છે. જોકે આ આવાસોના કેટલાક મૂળ લાભાર્થીઓ દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો સામે આવતાં મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. ગરીબ પરિવારો માટેની આવાસ યોજનાના લાભનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન દિગ્વિજયસિંહ બારડે તમામ ઝોનમાં સઘન તપાસના આદેશ આપ્યા હતા.
આ આદેશ બાદ સુરત મનપાની ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ ઝોનમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન મનપાના આવાસોમાં મૂળ લાભાર્થી રહે છે કે નહીં, મકાન ભાડે આપવામાં આવ્યું છે કે નહીં તેમજ મકાન બંધ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર સર્વે બાદ સામે આવેલા આંકડાઓએ મનપાના આવાસ આયોજન અને લાભાર્થીઓના વાસ્તવિક ઉપયોગ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

17,066 આવાસોની તપાસ, 917 મકાનો ભાડે મળ્યા
મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં કુલ 17,066 આવાસોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 917 મકાનોમાં મૂળ લાભાર્થીના બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે, યોજનાનો લાભ મેળવનાર કેટલાક લાભાર્થીઓએ પોતાના નામે ફાળવાયેલા આવાસો અન્ય લોકોને ભાડે આપ્યા હોવાની સ્થિતિ બહાર આવી છે.
આ ઉપરાંત સર્વે દરમિયાન 6,135 મકાનો તાળાં મારેલી અને બંધ હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે 8,925 મકાનોમાં મૂળ લાભાર્થીઓ રહેતા હોવાનું મનપાની ટીમને જાણવા મળ્યું છે.

આ આંકડાઓને પગલે મનપા તંત્ર દ્વારા હવે આવાસ યોજનાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની વધુ કડક તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અઠવા ઝોનમાં મોટી સંખ્યામાં આવાસો બંધ
ઝોનવાર સર્વેના આંકડા પર નજર કરીએ તો અઠવા ઝોનમાં કુલ 4,506 આવાસોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1,875 મકાનોમાં મૂળ લાભાર્થી રહેતા, જ્યારે 398 મકાનો ભાડે આપેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત અઠવા ઝોનમાં 2,213 આવાસો બંધ હાલતમાં મળી આવ્યા હતા.
રાંદેર ઝોનમાં 7,343 આવાસોનો સર્વે
રાંદેર ઝોનમાં સૌથી વધુ 7,343 આવાસોનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં 4,283 મકાનોમાં મૂળ લાભાર્થી રહેતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 333 મકાનો ભાડે આપેલા મળી આવ્યા હતા. રાંદેર ઝોનમાં 2,727 આવાસો બંધ હાલતમાં મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવાસો બંધ મળતાં હવે મનપા દ્વારા આવા મકાનોના ફાળવણીના હેતુ અને વાસ્તવિક ઉપયોગ અંગે વધુ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
હવે દર મહિને થશે સરપ્રાઇઝ ચેકિંગ
મનપા તંત્રનો મુખ્ય હેતુ એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ જે પરિવારને મળ્યો છે તે પરિવાર જ તેનો વાસ્તવિક ઉપયોગ કરે. આવાસ અન્ય વ્યક્તિને ભાડે આપવો કે લાંબા સમય સુધી મકાન બંધ રાખવું જેવી બાબતો સામે હવે કડક નજર રાખવામાં આવશે. મનપાની ટીમો દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ આવાસ યોજનાઓમાં અચાનક તપાસ કરવામાં આવશે. લાભાર્થીના નામે મકાન હોવા છતાં ત્યાં અન્ય વ્યક્તિ રહેતી હોવાનું અથવા મકાન ભાડે આપવામાં આવ્યું હોવાનું જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

