હેતલ જાની : જન્મદાતાની યાદો ને વાગોળવા માટે નો કોઈ જ ખાસ દિવસ નથી હોતો, કારણ કે જન્મદાતા ના લોહી ની જેમ એ તાત ની યાદો પણ દીકરી ની નસેનસ માં વહેતી હોઈ છે.જન્મ લઈને સમજણ માં આવ્યા બાદ થી લઇ ને છેક મૃત્યુ ની આગોશ સુધી કોઈ ઘડી કે પળ એવી નથી હોતી જે પિતા ની મૂક યાદો થી હરીભરી ના હોય,પરંતુ આ બધા માં કૈક ખાસ ,કૈક અણમોલ જેને હૈયું તો સમજી શકે પણ કોઈ સમક્ષ વર્ણવી ના શકે એવી કાળજાની કોરે ધરબાઈ ને પડેલી એક ઘટના જેને હું એક પામર દીકરી શબ્દો ના મણકા માં પરોવી આપ સમક્ષ રજુ કરવાની તુચ્છ ગુસ્તાખી કરવા માગું છું.
કંઇક અવાંછનિય પરિસ્થિતિ માં થયેલા લગ્ન,લગ્ન તો નહીં પણ બસ મારા જીવન ની મોટામાં મોટી કસોટી ની શરૂઆત……નવી સદી માં જૂની સદી માં થતું હોય એવું જુનવાણી વર્તન,હરહંમેશ જેમ થતું આવ્યું છે તેમ આપડા કહેવાતા મહાન સમાજ ના બંધનો,સગી હોવા છતાં ઓરમાન હોઈ તેવી માં કે જે હંમેશા ચાર લોકો શુ કહેશે ના ગાન ગાતી.સાસરીમાં જેટલું અને જ્યાં સુધી થાય ત્યાં સુધી બે બાળકો ના લીધે સહન કરે રાખ્યું.
રોજ બરોજ નો અસહ્ય માર અને સાસરી ની માંગણીઓ,મહેનાટોણા થી ત્રસ્ત થઇ લગ્ન ના બાર વર્ષે હિમ્મત કરી પોતાની પાંખ માં ફૂલ જેવા બે બાળકો ને લઇ ને મે આખરે ઘર છોડી દીધું.મા અને ભાઈ ના કુંઠિત સ્વભાવ ની બીકે બે દિવસ તો ગમે ત્યાં કાઢી નાંખ્યા પણ આખરે તો એકલી સ્ત્રી અને એમાંય કાંખ માં 10 વર્ષ ની દીકરી,જન્મ થી જ હૃદય ની ખામી ધરાવતો માસૂમ 5 વર્ષ નો પુત્ર…….મારી નૈતિક હિમ્મત મારા માતૃપ્રેમ આગળ હારી ગઈ.
ખૂબ મન મક્કમ કરી પિયર માં જ્યારે ફોન કર્યો તો માઁ એ તો ધરાહાર ના પાડી દીધી પપ્પા ને પૂછ્યા વગર જ કે તને એમ એકદમ ઘરે કેમની બોલાવાય?પણ કહે છે ને કે બાપ કોઈ દિવસ માં ની જેમ ભલે લાગણી જાહેર ના કરી શકતો હોય પણ એની છુપી લાગણી ની તોલે કોઈ ના આવી શકે,બસ માં ના હાથ માંથી પપ્પા એ ફોન ઝુંટવી લીધો અને એટલા જ શબ્દો મને કહ્યા કે ” બેટા, તું જ્યાં હોય અને જે હાલત માં હોઈ સીધી ઘરે આવી જા.”મારા માટે આ શબ્દો કોઈ સંજીવની થી કમ ન્હોતા.પપ્પા ના આ શબ્દો એ મારા માં નવી હિમ્મત નો સંચાર કર્યો,એક નવું જોમ ભર્યું મારામાં.પછી તો હું પિયર માં આવી,ફારગતી લીધી,માં અને ભાઈ ના સ્વભાવ ને લીધે મુશ્કેલી તો ખૂબ પડી પણ પપ્પા ની આંખ ના ચૂપ રહેવાના ઈશારા અને એમના શબ્દો એ હું ટકી રહી,નોકરી કરી બને તેટલી મદદરૂપ થઇ.નોકરી માં ઓળખાણને લીધે ટ્રષ્ટ દ્વારા દીકરાનું હૃદય નું ઓપરેશન કરાવ્યું…….દીકરો મેં ગુમાવી દીધો એ મારી કિસ્મત હશે.મન મનાવી લીધું મેં …..અને થોડા જ સમય માં એક તૂટેલા હૈયા વાળા મારા પિતા હૃદયરોગ ના એક જ હુમલામાં દુનિયા ને અલવિદા કહી મારી હિંમત તોડી જતા રહ્યા.
પછી તો અલગ ભાડે ઘર રાખી રહી,દીકરી ને જ મારુ જીવનકેન્દ્ર બનાવી મારી દીકરી ને પરણાવી.એના સંસાર માં એ નાનકડી ફૂલ ની કોમળ પાંખડી જેવી દીકરી સાથે સુખે થી રહે છે,પણ પપ્પા ના એ શબ્દો આજે પણ મન માંથી નથી ખસતા કે ,” બેટા તું જ્યાં હો જે હાલત માં હોય સીધી ઘરે આવી જા. “