અમદાવાદમાં વર્ષમાં હત્યાના 83 અને દુષ્કર્મના 286 કિસ્સા; સુરતમાં 100થી વધુ મર્ડર, ગૃહમંત્રીએ રજૂ કર્યા આંકડા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિધાનસભા સત્ર દરમિયાન મહત્વના ખુલાસા થયા છે. આંકલાવના વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ અને સુરત શહેરમાં છેલ્લા એક વર્ષ (1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2026) દરમિયાન નોંધાયેલા ગુનાઓના અધિકૃત ગુનાખોરીના આંકડા (Crime Statistics) રજૂ કર્યા છે.
અમદાવાદ શહેરમાં નોંધાયેલા ગુનાઓની વિગત
ગૃહ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ગંભીર ગુનાઓ હેઠળ હજારો ફરિયાદો નોંધાઈ છે:
હત્યા અને દુષ્કર્મ: અમદાવાદમાં એક વર્ષમાં હત્યાના 83 અને દુષ્કર્મના 286 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેડતીના 117 અને અપહરણના ૨૨૫ મામલા સામે આવ્યા છે.
ચોરી અને લૂંટ: શહેરમાં ચોરીના 2860 અને લૂંટના 56 કેસ દાખલ થયા છે.
અન્ય ગુનાઓ: ખંડણીના 10, દારૂબંધી ભંગના 12,889 અને જૂગારના 1,495 કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.
દિવસેને દિવસે વધતો સાયબર ક્રાઈમ: અમદાવાદમાં એક વર્ષમાં સાયબર ઠગાઈના 495 કેસ નોંધાયા છે. આ આંકડો દર્શાવે છે કે શહેરમાં પ્રતિદિન સરેરાશ 1.35 લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે.
સુરતમાં 100થી વધુ હત્યાના બનાવો
દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં પણ ગુનાખોરીનો ગ્રાફ ઊંચો રહ્યો છે:
ગંભીર ગુનાઓ: સુરતમાં એક વર્ષ દરમિયાન હત્યાના 115 કિસ્સા નોંધાયા છે. જ્યારે બળાત્કારના 331, છેડતીના 134 અને અપહરણના 297 કેસ નોંધાયા છે.
આર્થિક અને અન્ય ગુનાઓ: સુરતમાં ચોરીના 1275, લૂંટના 54, ખંડણીના 108 અને સાયબર ક્રાઈમના 333 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દારૂના 8556 અને જુગારના 1137 કેસ રજિસ્ટર થયા છે.
38 હજારથી વધુ આરોપીઓની ધરપકડ; 725 હજુ પણ ફરાર
ગૃહમંત્રીએ ગૃહમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરતમાં નોંધાયેલા આ ગુનાઓમાં સંડોવાયેલા 38,877 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
તદુપરાંત, 725 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ, બેંક એકાઉન્ટ તેમજ આઈપી એડ્રેસ ટ્રેક કરી રહી છે. રાજ્ય બહાર ભાગી ગયેલા અપરાધીઓને પકડવા માટે અન્ય રાજ્યોની પોલીસની મદદ લેવામાં આવી રહી છે.













