Chia seeds આ લોકો માટે બની શકે છે હાનિકારક, થઇ જજો સાવધાન
ચિયા સીડ્સને ઘણીવાર પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. વજન ઘટાડવા, પાચનમાં સુધારો કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને “સુપરફૂડ” તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું સેવન કેટલાક લોકો માટે ખતરનાક બની શકે છે? દરેક સુપરફૂડ દરેક માટે યોગ્ય નથી.
લો બ્લડ પ્રેશરના દર્દીઓ
ચિયા સીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે કુદરતી રીતે બ્લડ પ્રેશર ઘટાડે છે. જો તમને પહેલાથી જ લો બ્લડ પ્રેશર હોય તો ચિયા સીડ્સ તમારા બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે. આ નબળાઈ, ચક્કર, સુસ્તી અને બેહોશીનું કારણ બની શકે છે. લો બ્લડ પ્રેશર ધરાવતી સ્ત્રીઓએ ખાસ કરીને તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
પાચન અને આંતરડાની સમસ્યાઓ ધરાવતા લોકો
ચિયા સીડ્સમાં દ્રાવ્ય ફાઇબર વધુ હોય છે. જે લોકો વારંવાર ગેસ, પેટનું ફૂલવું, ખેંચાણ અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી આંતરડાની સમસ્યાઓનો અનુભવ કરે છે, તેમના માટે આ વધારાનું ફાઇબર પાચનતંત્ર પર વધુ તાણ લાવી શકે છે. આ પેટમાં દુખાવો અને હાર્ટબર્નને વધુ ખરાબ કરી શકે છે.
લોહી પાતળું કરનાર દવાઓ લેતા લોકો
જો તમે એસ્પિરિન જેવી લોહી પાતળું કરતી દવાઓ લઈ રહ્યા છો તો ચિયા સીડ્સ ટાળો. ચિયા સીડ્સમાં રહેલ ઓમેગા-3 લોહી પાતળું કરે છે. દવાઓ અને ચિયા સીડ્સ એકસાથે ખાવાથી ઈજાના કિસ્સામાં વધુ પડતા રક્તસ્ત્રાવનું જોખમ વધી શકે છે.
કિડની રોગ અથવા પથરીના દર્દીઓ
ચિયા સીડ્સ કિડનીના દર્દીઓ માટે સલામત માનવામાં આવતા નથી. તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને ઓક્સાલેટની માત્રા વધુ હોય છે. નબળી કિડની આ તત્વોને સરળતાથી ફિલ્ટર કરી શકતી નથી, જેના કારણે કિડની પર દબાણ વધે છે અને કિડનીમાં પથરીના જોખમમાં વધારો થાય છે.
જે લોકો પૂરતું પાણી પીતા નથી
ચિયા સીડ્સ પાણીમાં તેમના વજન કરતાં 10 થી 12 ગણું પાણી શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. જો તમે તેને સૂકું ખાઓ છો અથવા ખાધા પછી પૂરતું પાણી ન પીઓ છો તો તે ફૂલી શકે છે અને આંતરડા અથવા અન્નનળીમાં અવરોધ પેદા કરી શકે છે. આનાથી ગળવામાં મુશ્કેલી, એસિડિટી અથવા કબજિયાત થઈ શકે છે.













